Veraval News: તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. એક યુવક અને સગીરાએ પ્રેમ સંબંધમાં સામાજિક અવરોધના ડરથી સાથે મળીને આપઘાત કરી લેતા બે પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનાને પગલે સમગ્ર ગીર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
બોરવાવ ગીર ગામે રહેતા યુવકના ઘરે જ આ પ્રેમી પંખીડાએ મોતની છલાંગ લગાવી હતી. આજે સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ યુવક અને સગીરાએ ગળેફાંસો ખાઈ આત્યંતિક પગલું ભરી લીધું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને સમાજ કે પરિવાર તેમને એક નહીં થવા દે તેવા ડરથી બંનેએ સાથે મળીને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે
આ બનાવથી બંને પરિવારો સ્તબ્ધ થઈ ગયા છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ આ પ્રેમ સંબંધ વિશે અજાણ હતા. અચાનક બનેલી આ ઘટનાથી ગ્રામજનો પણ આઘાતમાં સરી પડ્યા છે. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. બંને મૃતદેહોને તાલાલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ-મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ અને સત્ય શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
