Loading...

રિજનલ વાઇબ્રન્ટ એક્ઝિબિશનમાં સુરેન્દ્રનગર ITIના યુવાનોનો દબદબો: અકસ્માત નિવારતી ‘ઇન્ટેલિજન્ટ એલર્ટ સિસ્ટમ’ બની આકર્ષણનું કેન્દ્ર

સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ.ની ટીમે ટેકનોલોજીના માધ્યમથી સામાજિક સમસ્યાનો સ્માર્ટ ઉકેલ રજૂ કર્યો. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ યુવાનોના ઇનોવેશનને બિરદાવ્યા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 15 Jan 2026 06:27 PM (IST)Updated: Thu 15 Jan 2026 06:27 PM (IST)
surendranagar-iti-youth-shine-at-vibrant-exhibition-with-intelligent-accident-alert-system-674560

Surendranagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલાં 'વાઇબ્રન્ટ ગુજરાત'ના જે બીજ રોપ્યા હતા, તે આજે એક વટવૃક્ષ બનીને રાજ્યના ખૂણે-ખૂણે પહોંચ્યું છે. વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત@2047'ના વિઝનને ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજકોટ ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ગુજરાતના યુવાનોની કૌશલ્ય શક્તિના દર્શન થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ‘ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ’ રાજ્યની ટેકનિકલ ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા 'સ્કિલ ઇન્ડિયા' અભિયાનને નવી ઊંચાઈ પર લઈ જવામાં આવી રહ્યું છે. રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા આઈટીઆઈના તાલીમાર્થીઓને આધુનિક સંસાધનો પૂરા પાડવામાં આવતા હોવાથી આજે રાજ્યના યુવાનો સમાજની જટિલ સમસ્યાઓના સ્માર્ટ ઉકેલો લાવી રહ્યા છે. સુરેન્દ્રનગરના તાલીમાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ માર્ગ અકસ્માત સમયે 'ગોલ્ડન અવર'માં મદદ પહોંચાડવા અને ધુમ્મસ જેવા કારણોસર થતા 'ચેઈન અકસ્માતો' રોકવામાં પાયારૂપ સાબિત થશે.

આ પ્રોજેક્ટની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપતા સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર દિવ્યાંગ જે. શાહે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માત સમયે ઘણીવાર ધુમ્મસ કે ઓછા પ્રકાશને કારણે 'ચેઈન ઓફ એક્સિડન્ટ્સ' સર્જાતા હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે તૈયાર કરાયેલી આ સિસ્ટમ અકસ્માત થતાંની સાથે જ 5 કિમીની ત્રિજ્યામાં આવતા અન્ય વાહનોને ત્વરિત એલર્ટ મોકલે છે, જેથી પાછળ આવતા વાહનો સમયસર પોતાની ગતિ ધીમી કરી શકે અને સંભવિત ટક્કરને ટાળી શકાય. આ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ચૂક્યો છે.

આ પ્રોજેક્ટની સૌથી મહત્વની વિશેષતા તેની ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ છે. અકસ્માત સર્જાતા જ આ સિસ્ટમ અદ્યતન સેન્સર્સ અને GPS લોકેશનની મદદથી નજીકના પોલીસ સ્ટેશન, ૧૦૮ હોસ્પિટલ સેવા અને વાહન ચાલકના પરિવારજનોને ઓટોમેટિક મેસેજ મોકલી દે છે. સમયસર મળેલી આ જાણકારીથી ઘાયલ વ્યક્તિને ‘ગોલ્ડન અવર’માં જ તબીબી સારવાર મળી રહે છે, જે હજારો માનવ જિંદગીઓ બચાવવામાં પાયારૂપ સાબિત થઈ શકે છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં ડી.એમ. ચુડાસમા, એન.એમ. બેલીમ અને તેમની સમગ્ર ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે.

આઈટીઆઈના યુવા તાલીમાર્થીઓની આ ટેકનિકલ કુશળતાથી પ્રભાવિત થઈને શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રોજેક્ટનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું. તેમણે આ ટીમને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કરી વ્યક્તિગત અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન જે રીતે યુવાશક્તિને દેશના વિકાસનું એન્જિન માને છે, તે જ દિશામાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના આઈટીઆઈના વિદ્યાર્થીઓ ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યા છે. ગુજરાત સરકાર રાજ્યના યુવાનોમાં રહેલી નવીનતા અને કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે અને આવા પ્રોજેક્ટ્સ 'આત્મનિર્ભર ભારત'ના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થશે.

રાજકોટના આ પ્રાદેશિક પ્રદર્શનમાં ૪૫૦થી વધુ સ્ટોલ્સ દ્વારા રાજ્યની ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રગતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'લોકલ ફોર વોકલ'ના મંત્રને સાર્થક કરતા આ એક્ઝિબિશનમાં સ્થાનિક સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને ઉદ્યોગ જગત સાથે સીધું જોડાણ મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની પ્રોત્સાહક નીતિઓના પરિણામે આજે ગુજરાતનો યુવાન માત્ર નોકરી શોધનાર નહીં, પરંતુ ટેકનોલોજી અને ઈનોવેશન દ્વારા 'જોબ ગીવર' બનવા તરફ ડગ માંડી રહ્યો છે. આ એક્ઝિબિશન યુવા પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યું છે.