Surat News: ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM), ગાંધીનગરની ગ્રાંટમાંથી ચોર્યાસી તાલુકાના સણીયા કણદે ગામે સુડા દ્વારા તૈયાર થયેલા રૂ.5.28 કરોડના ખર્ચે તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ તળાવની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ડિંડોલી અને આસપાસના વિસ્તારો માટે ગૌરવ લઈ શકાય તેવા આ તળાવને સાચવવાની જવાબદારી આપ સૌ ગ્રામવાસીઓની છે. ગ્રામજનો, ખાસ કરીને બાળકો અને યુવાનો માટે આ પ્રોજેક્ટમાં વિશેષ કાળજી લેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

આ તળાવનુ નવીનીકરણ થવાથી આસપાસના રહીશો માટે હરવા-ફરવાનું ઉત્તમ સ્થળ મળી રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોની સુવિધા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અદ્યતન વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. તળાવની સુરક્ષા માટે ચેઈન લિંક સાથેની કમ્પાઉન્ડ વોલ અને પેરીફેરી પર રેલિંગ લગાવવામાં આવી છે, જ્યારે મોર્નિંગ વોકર્સ માટે તળાવના ઉપર અને નીચેના ભાગે જોગિંગ ટ્રેક તથા પેવર બ્લોક વોક-વે તૈયાર કરાયા છે.
રાત્રિના સમયે તળાવની શોભા વધારવા માટે LED સ્ટ્રીટ લાઈટ્સ અને આઈલેન્ડ બ્યુટીફિકેશનનું કામ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મુલાકાતીઓ માટે આકર્ષક એન્ટ્રી ગેટ, આરામ કરવા માટે ગઝેબો અને બાંકડા તેમજ ટોયલેટ બ્લોક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત રમતગમતના સાધનો અને યુવાનો તેમજ વડીલો માટે કસરતના સાધનો મૂકવામાં આવ્યા છે.
આ લોકાર્પણ પ્રસંગે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે અને સણીયા-કણદે ગ્રામ પંચાયતના સરપંચ જશપાલસિંહ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
