Loading...

Surat: વિદ્યાર્થિનીઓના આપઘાતનો મુદ્દો વૈશ્વિક કક્ષાએ ચર્ચાયો, એલોન મસ્કે પણ કરી કોમેન્ટ

ઈલોન મસ્કે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા 'Yikes' લખીને આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કર્યો. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 09 Mar 2026 04:38 PM (IST)Updated: Mon 09 Mar 2026 04:39 PM (IST)
elon-musk-also-commented-on-surat-two-female-student-suicide-case-705417
HIGHLIGHTS
  • સુરતની બે વિદ્યાર્થિનીઓએ મંદિરમાં કર્યો આપઘાત
  • ChatGPT પર આત્મહત્યા કેવી રીતે કરવું તે સર્ચ કર્યું
  • આ બનાવ અંગેની પોસ્ટ પર એલોન મસ્કે કોમેન્ટ કરી

Surat students suicide case: સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા એક મંદિરના બાથરૂમમાં બે વિદ્યાર્થિનીઓએ આપઘાત કરી લીધો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, આપઘાત કરતા પહેલા તેમણે Chat GPT પર આત્મહત્યા કેવી રીતે કરવું તે સર્ચ કર્યું હતું. હવે આ કરુણ ઘટનાની નોંધ ખુદ ‘X’ના માલિક એલોન મસ્કે લીધી, ઉપરાંત કોમેન્ટ પણ કરી હતી.

વૈશ્વિક કક્ષાએ ચર્ચાયો આત્મહત્યાનો મુદ્દો 

આ મામલે અમેરિકાના પોડકાસ્ટર અને ભૂતપૂર્વ સરકારી કર્મચારી કેટી મિલરે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ભારતમાં બે યુવતીએ ChatGPT સાથે વાતચીત કર્યા પછી આત્મહત્યા કરી. તેઓએ ChatGPT પર ‘આત્મહત્યા કેવી રીતે કરવી’, ‘આત્મહત્યા કેવી રીતે કરી શકાય’, અને ‘કયા ડ્રગ્સનો ઉપયોગ થાય છે’ વિશે સર્ચ કર્યું હોવાનું કહેવાય છે. મહેરબાની કરીને તમારા પ્રિયજનોને ChatGPTનો ઉપયોગ કરવા ન દો.

બનાવની નોંધ લઈ ઈલોન મસ્કે કરી કોમેન્ટ  

સુરતમાં બે વિદ્યાર્થિનીઓએ કરેલા આપઘાત અને તે પહેલા ChatGPT પર આત્મહત્યા કેવી રીતે કરવું તે સર્ચ કરવા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ એક પોસ્ટ કરવામાં આવી હતી. વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ અને ‘X’ના માલિક ઈલોન મસ્કે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ઈલોન મસ્કે 'Yikes' લખીને આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કર્યો હતો. 

15 દિવસના અંતરાલમાં બંનેના થયા હતા બ્રેકઅપ

બીજી તરફ આ મામલાની તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં સામે આવ્યું કે, તાજેતરમાં મૃતક રોશની અને જ્યોત્સના બંનેના તેમના પાર્ટનર સાથે બ્રેકઅપ થયા હતા. આ કારણોસર તેઓ ડિપ્રેશનમાં હતા. બંનેના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન પોલીસને કેટલીક મહત્વની ચેટ મળી હતી, જે બ્રેકઅપ અંગે ઈશારો કરતી હતી. 

કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી

આપને જણાવી દઈએ કે, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રામી પાર્કમાં રહેતા વેપારીની 18 વર્ષીય પુત્રી રોશની શરદ શીરસાટ અને સ્મીમેર હોસ્પિટલના લેબ ટેક્નિશિયનની 20 વર્ષીય પુત્રી જ્યોત્સના અતુલ ચૌધરી બંને બહેનપણી 7 માર્ચ, શનિવારે કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. 

એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને કર્યો આપઘાત 

જોકે, બાદમાં સણીયા કણયદેના નવનિર્મિત આત્મીય સંસ્કાર ધામ સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાં જઈને બંને વિદ્યાર્થિનીઓએ આપઘાત કરી લીધો હતો. CCTV ફૂટેજ ચેક કરતા બંને વિદ્યાર્થિનીઓ એકલી જતી દેખાય હતી. બંને વિદ્યાર્થીનીઓએ એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો ડોઝ લઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

ChatGPTને પૂછ્યું, આત્મહત્યા કેવી રીતે કરવી? 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બંને બહેનપણીઓએ મોબાઈલમાં ChatGPT પ્લેટફોર્મ પર આપઘાત કેવી રીતે કરાય તે અંગે સર્ચ કરીને તેની જાણકારી પણ મેળવી હતી. તેમજ તેમના ફોનની ગેલેરીમાંથી ફોટોગ્રાફ મળ્યા હતા. તેમાં ઇન્જેક્શન કેવી રીતે લેવું તેની જાણકારીના ફોટા સેવ હતા. બાદમાં બંને બહેનપણીઓએ એક સાથે અંતિમ પગલું ભરી લીધું હતું.

પોલીસે એનેસ્થેસિયા દવાની બોટલ તેમજ ઈન્જેક્શન ક્યાંથી ખરીદ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે. વધુમાં, એક વર્ષ અગાઉ મહિલા નર્સે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હતો તે ઘટનાનું ન્યૂઝ પેપરનું કટિંગ પણ મોબાઈલમાં મળ્યું હતું. જેથી અનુમાન છે કે આ બંને સોર્સ પરથી બદપ્રેરણા લઈને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન લઈને તેમણે આપઘાત કર્યો હોય.