Sabarkantha News: થોડા દિવસો પહેલા રાજ્યમાં બાળ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બાળકને લાખો રૂપિયામાં ખરીદીને રાજ્ય બહાર વેંચવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે હવે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં એક 9 દિવસના નવજાત શિશુને 2 લાખ રૂપિયામાં અમદાવાદમાં વેચવા માટે સોદો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા આ મામલે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સઘન પૂછપરછ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, હિંમતનગર AHTU શાખાને ચોક્કસ બાતમી મળી હતી કે નવજાત બાળકોની તસ્કરી કરવામાં આવી રહી છે અને તેમાં ખેડબ્રહ્માના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ડાભી સંડોવાયેલો છે. મળેલી બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી માલજીને મટોડા પાસેથી છટકું ગોઠવી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે કબલ્યુ હતું કે મેડી ગામના એક પરિવારના નવજાત શિશુને અમદાવાદના એક વ્યક્તિને 2 લાખ રૂપિયામાં વેચ્યું હતું.
માલજી દ્વારા કરવામાં આવેલી કબૂલાતના આધારે પોલીસે તપાસનો દોર અમદાવાદ અને રાજસ્થાન સુધી લંબાવી છે. માલજી ઉર્ફે માલિયો ડાભી ઉપરાંત સુવન ઉર્ફે સોવમ ડાભી, લક્ષ્મણ ડાભી, દેવજી ઉર્ફે દેવા પારઘી અને પ્રમોદ રાજવંશીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ સાબરકાંઠા અને રાજસ્થાનના છે. ખેડબ્રહ્મા પોલીસે ગુનો નોંધી બાળકની તસ્કરી પાછળ કોઈ મોટું આંતરરાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય નેટવર્ક સક્રિય છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
