Rajkot: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે રાજકીય અખાડાના જૂના પહેલવાન શંકરસિંહ વાઘેલા ફરી મેદાનમાં આવ્યા છે. બાપુએ આ વખતે રાજકોટથી નગારે ઘા કર્યો છે અને કર્જા માફીના હોર્ડિંગ લગાવી રાજકીય પડ ગરમ કરી દીધું છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોના દેવામાફીના મુદ્દે રાજકોટથી આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. શહેરના વિવિધ માર્ગો પર ‘સબ કા હોગા કર્ઝા માફ’ના લખાણ સાથેના પોસ્ટરો અને હોર્ડિંગ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આગામી 26 ફેબ્રુઆરીએ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરના વિવિધ સંગઠનોના આગેવાનો હાજર રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા દેવામાફીના આંદોલનને વેગ આપી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર સક્રિય રાજનીતિમાં પકડ જમાવવા પ્રયાસ કરી રહ્યા હોય તેવું જણાય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી મે જૂન માસ આસપાસ યોજાવાની છે અને હાલ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી રાજકીય મેદાન ગજાવી રહી છે, ત્યાં અચાનક શંકરસિંહ વાઘેલા પડમાં આવતાં બાપુને રાજકોટમાં કેવો સપોર્ટ મળે છે તે તો સમય જ બતાવશે.
