Rajkot: રાજકોટમાં આર્થિક ભીંસના કારણે વધુ એક ધંધાર્થીએ આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે. શહેરના કાલાવડ રોડ ઉપર રહેતા કેટરર્સના એક ધંધાર્થીએ આર્થિક ભીંસથી કંટાળી મોટાવડાળા ગામની સીમમાં આવેલા મંદિરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ કૈલાસ કેવલમ સોસાયટીમાં રહેતા અને કેટરીંગનો વ્યવસાય કરતા બિપીનભાઇ લક્ષ્મણભાઇ પાંભર (ઉ.46) એ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યાના સુમારે કાલાવડ રોડ ઉપર આવેલા મોટાવડા ગામની સીમમાં ખોડીયાર માતાજીના મંદિરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
પોલીસના કહેવા મુજબ મૃતક બીપીનભાઇ ગઇકાલે માતાજીના દર્શન કરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને મોટાવડાની સીમમાં ખોડીયાર માતાજીના દર્શન કરી ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મૃત્યુ નિપજયું હતું.
મૃતક બીપીનભાઇ પટેલ કેટરિંગનો વ્યવસાય કરતા હોવાનું અને ધંધામાં મંદીના કારણે આર્થિક ભીંસથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વિશેષ તપાસ મેટોડાના હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ સોરાણીએ હાથ ધરી છે.મૃતકને પરિવારમાં એક પુત્ર હોવાનું તેમજ બે ભાઇ તથા બે બહેનમાં બીપીનભાઇ સૌથી મોટા હોવાનું જાણવા મળે છે. તેમના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી જન્મી છે.
