Loading...

Pavagadh: ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે જ ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ, હજારો માઈભક્તો અટવાયા

યાત્રાધામ પાવાગઢમાં દર્શન કરવા આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખીને રોપવે સેવા બંધ કરાઈ છે. ઉંચાઈ પર તેજ પવન ફૂંકાતા અકસ્માત નિવારવા પગલાં લેવામાં આવ્યા

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Thu 19 Mar 2026 10:58 AM (IST)Updated: Thu 19 Mar 2026 10:58 AM (IST)
pavagadh-ropeway-service-halted-due-to-strong-winds-on-the-first-day-of-chaitri-navratri-thousands-of-devotees-stranded-711117
HIGHLIGHTS
  • ડુંગર પર અતિશય તેજ પવનને ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી
  • રોપ-વે સેવા બંધ નીચેના સ્ટેશન પર ભક્તોની લાંબી કતારો થઈ
  • વહીવટી તંત્રે ભક્તોને શાંતિ જાળવવા અને સહકાર આપવા અપીલ કરી

Pavagadh Ropeway service: સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજથી ચૈત્રી નવરાત્રિનો મંગલ પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જોકે, કુદરતી પરિબળોને કારણે યાત્રાળુઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ડુંગર પર ફૂંકાતા અતિશય તેજ પવનને કારણે સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે હજારો વૃદ્ધ અને અશક્ત યાત્રાળુઓ અટવાઈ પડ્યા છે.

સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય

ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે જ વહેલી સવારથી યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી રહી હતી. આ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ડુંગરની ટોચ પર પવનની ગતિ મર્યાદા કરતા વધી ગઈ હતી. રોપ-વેના ટ્રોલી વાયરો પર પવનનું દબાણ વધતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી હતી. જેથી રોપ-વે સંચાલકો અને તંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષાને સર્વોપરી ગણીને સેવા સ્થગિત કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

યાત્રાળુઓની કતારો અને હાલાકી

રોપ-વે સેવા બંધ થતાની સાથે જ નીચેના સ્ટેશન પર ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો જેઓ પગથિયાં ચઢીને ઉપર જવા અસમર્થ છે. તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ઘણા શ્રદ્ધાળુઓ કલાકો સુધી પવન શાંત થવાની રાહ જોઈને બેસી રહ્યા હતા.વહીવટી તંત્ર દ્વારા ભક્તોને શાંતિ જાળવવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

પરિસ્થિતિ સામાન્ય થતા સેવા પુનઃ શરૂ થશે

તંત્રના જણાવ્યા અનુસાર, પવનની ગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પવનની ઝડપમાં ઘટાડો થતા અને સુરક્ષાના માપદંડો ચકાસ્યા બાદ જ રોપ-વે ફરી શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી યાત્રાળુઓને પગથિયાં માર્ગે જવાની અથવા પવન શાંત થાય ત્યાં સુધી પ્રતિક્ષા કરવાની સૂચના આપવામાં આવી છે.