Banaskantha: અમદાવાદ સ્થિત હવામાન વિભાગ દ્વારા 1 એપ્રિલના રોજ આપવામાં આવેલ આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં આગામી 4 એપ્રિલ સુધી કમોસમી વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC), સબ સેન્ટરો તથા સંબંધિત વિભાગોને તાત્કાલિક જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
ખાસ કરીને ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદના કારણે પલળી ન જાય અને અનાજ બગડી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચવવામાં આવ્યું છે. ઉપરાંત અનાજના પરિવહન દરમિયાન પણ અનાજ સુરક્ષિત રહે તે માટે જરૂરી કાળજી રાખવા ભાર મુકવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો અને વેપારીઓને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ આગાહી મુજબ જરૂરી સાવચેતી રાખે અને અનાજને વરસાદથી સુરક્ષિત રાખે. જે અંગે મામલતદારશ્રી, ડિઝાસ્ટર શાખા બનાસકાંઠા, પાલનપુરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
