Loading...

ઉત્તર ગુજરાતને મળશે પોતાની પાંખો: ડીસામાં બનશે પ્રથમ સિવિલ એરપોર્ટ; 4500 એકરમાં ફેલાયેલા એરફોર્સ સ્ટેશન પર હવે પેસેન્જર વિમાનો પણ ઉડશે

અત્યાર સુધી ઉત્તર ગુજરાતના લોકોને ફ્લાઇટ પકડવા માટે ફરજિયાતપણે અમદાવાદ એરપોર્ટ પર નિર્ભર રહેવું પડતું હતું.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 03 Feb 2026 02:39 PM (IST)Updated: Tue 03 Feb 2026 02:39 PM (IST)
airport-to-be-built-in-deesa-north-gujarat-685063

Deesa Airport: ઉત્તર ગુજરાતના રહેવાસીઓ માટે હવે હવાઈ મુસાફરી સરળ બનવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે ડીસા ખાતે આવેલા વ્યૂહાત્મક એરફોર્સ સ્ટેશનને સિવિલ એરપોર્ટ તરીકે પણ વિકસાવવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ થયો કે ડીસા એરપોર્ટ હવે સંરક્ષણ અને સિવિલિયન (નાગરિક) એમ બંને હેતુઓ માટે કાર્યરત રહેશે.

અમદાવાદ પર નિર્ભરતા ઘટશે

અત્યાર સુધી ઉત્તર ગુજરાતના લોકોને ફ્લાઇટ પકડવા માટે ફરજિયાતપણે અમદાવાદ એરપોર્ટ પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે ડીસામાં એરપોર્ટ કાર્યરત થવાથી બનાસકાંઠા સહિત આસપાસના જિલ્લાઓના વેપારીઓ, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનો સમય અને ખર્ચ બચશે. આ પ્રોજેક્ટ માટે ડીસાના ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન પ્રવીણ માળીએ સક્રિય રજૂઆતો કરી હતી.

સૌથી લાંબો રનવે અને આધુનિક ટર્મિનલ

આ એરપોર્ટની સૌથી મોટી વિશેષતા તેનો રનવે છે. ડીસા એરપોર્ટનો રનવે 3.3 કિલોમીટર લાંબો છે, જે સમગ્ર ગુજરાતના એરપોર્ટમાં સૌથી લાંબો ગણાય છે.

  • કુલ 4500 એકરની જમીનમાંથી 100 એકર વિસ્તારમાં અત્યાધુનિક પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવશે.
  • આગામી રાજ્ય બજેટમાં ગુજરાત સરકાર આ પ્રોજેક્ટ માટે ખાસ ફંડની ફાળવણી કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

રાજસ્થાન અને યાત્રાધામોને મોટો ફાયદો

ડીસા એરપોર્ટ ભૌગોલિક રીતે અત્યંત મહત્વના સ્થળે આવેલું છે, જેના કારણે અનેક પર્યટન સ્થળોને વેગ મળશે:

  • યાત્રાધામ અંબાજી: એરપોર્ટથી 110 કિમી દૂર હોવાથી દેશ-વિદેશના ભક્તો માટે સરળતા રહેશે.
  • નડાબેટ સીમા દર્શન: ભારત-પાક સરહદે આવેલું આ સ્થળ આશરે 100 કિમી દૂર છે.
  • ડીસા ઝૂ અને સફારી: પ્રસ્તાવિત ડે-એન્ડ-નાઈટ સફારી એરપોર્ટથી માત્ર ૨૫ કિમીના અંતરે હશે.
  • પડોશી રાજ્ય: ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના કેટલાક જિલ્લાઓના રહેવાસીઓ પણ આ એરપોર્ટનો સીધો લાભ મેળવી શકશે.

કનેક્ટિવિટીનું હબ બનશે

ભારતમાલા પ્રોજેક્ટ હેઠળનો જામનગર-અમૃતસર હાઈવે અને અમદાવાદ-થરાદ હાઈવે આ એરપોર્ટની નજીકથી પસાર થાય છે, જેના કારણે પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ એરપોર્ટના નિર્માણથી ઉત્તર ગુજરાતના કૃષિ નિકાસ (ખાસ કરીને બટાકા) અને અન્ય ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડાવાની તક મળશે.