Narmada Parikrama Route 2026: ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર ગણાતી 'ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા'નો આગામી 19 માર્ચ, 2026 થી વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારો આ શ્રદ્ધાનો મહાકુંભ 17 એપ્રિલ, 2026 ના રોજ પૂર્ણ થશે. આ વર્ષે યાત્રામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવનાને પગલે વહીવટી તંત્ર દ્વારા 18 કિમીના પરિક્રમા માર્ગ પર અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.
શ્રદ્ધાળુઓ માટે ₹10 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ
- ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાવાસીઓની સુવિધા માટે અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે હંગામી અને કાયમી માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
- પરિક્રમા માર્ગ પર વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં ખાટલા, ગાદલા અને બેડશીટ સહિતની સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે.
- મહિલાઓ અને પુરુષો માટે અલગ શૌચાલય, મોબાઈલ ટોયલેટ વાન, સ્નાનગૃહ અને ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરાઈ છે.
- યાત્રિકોનો સામાન સુરક્ષિત રાખવા ક્લોક રૂમ, અવિરત પાણી પુરવઠો અને જરૂરી ચીજવસ્તુઓ માટે વિવિધ સેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
RFID અને IR ટેકનોલોજીથી સુરક્ષાનું કવચ
- ભીડ પર નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સચોટ બનાવવા માટે આ વર્ષે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- ઇન્ફ્રારેડ (IR) અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજી દ્વારા હેડ કાઉન્ટ સિસ્ટમ અમલી કરાશે, જેનાથી યાત્રાળુઓની સંખ્યા પર રિયલ ટાઇમ નજર રાખી શકાશે.
- મગ્ર 18 કિમીના માર્ગ પર CCTV કેમેરા, વોચ ટાવર અને વાયરલેસ કમ્યુનિકેશન નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે.
- રાત્રિ દરમિયાન પદયાત્રીઓને મુશ્કેલી ન પડે તે માટે તમામ ઘાટ અને માર્ગો પર LED અને હાઈ-માસ્ટ ફ્લડ લાઈટો લગાવાઈ છે.
આરોગ્ય અને ઇમરજન્સી સેવાઓ
કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર રૂટ પર મેડિકલ યુનિટ્સ અને 24x7 એમ્બ્યુલન્સ સેવા તૈનાત રહેશે. આ ઉપરાંત, ઠેર-ઠેર 'ઇમરજન્સી હેલ્પ પોઇન્ટ' ઊભા કરવામાં આવ્યા છે. પરિક્રમા ક્ષેત્રની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા માટે હાઉસકીપિંગની ટીમો અલગ-અલગ શિફ્ટમાં કાર્યરત રહેશે.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો રૂટ
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ભક્તિ અને આસ્થાનો અનોખો મેળાવડો માનવામાં આવે છે, જેમાં યાત્રાળુઓ વિશેષ ધાર્મિક વિધિ સાથે પરિક્રમા પૂર્ણ કરે છે. પરિક્રમાની શરૂઆત રામપુરાથી થાય છે, જ્યાંથી યાત્રાળુઓ નર્મદા નદીના પશ્ચિમ કિનારે ચાલતા તિલકવાડા સુધી પહોંચે છે. ત્યારબાદ, તેઓ હોડી દ્વારા નદી પાર કરીને પૂર્વ કિનારે પહોંચે છે. અહીંથી યાત્રાળુઓ ફરી રામપુરા પરત ફરીને હોડીમાં બેસી પોતાની યાત્રા પૂર્ણ કરે છે.
