Narmada News: 'સ્વાસ્થ્ય સેવાથી રાષ્ટ્ર સેવા' અને 'દર્દી દેવો ભવ:'ની ભાવનાથી પ્રેરિત, National Medicos Organisation (NMO) દ્વારા એલોપેથીક તથા ડેન્ટલ વિભાગના વિદ્યાર્થીઓ અને ડોક્ટરોનું 45મું રાષ્ટ્રીય અધિવેશન – NMOCON-2026 તારીખ 21 અને 22 માર્ચ 2026ના રોજ Medical College Baroda, Vadodara ખાતે NMO ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે.
આ રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર ભારતમાંથી 2000થી વધુ મેડિકલ અને ડેન્ટલ વિદ્યાર્થી તેમજ ડોક્ટર સભ્યો ભાગ લેશે. કોન્ફરન્સ દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો માટે વિવિધ એકેડેમિક સત્રો, વૈજ્ઞાનિક ચર્ચાઓ, સંવાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કોન્ફરન્સ પૂર્વે વિશેષ કાર્યક્રમ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે 'સ્વામી વિવેકાનંદ સ્વસ્થ જીવન શૈલી જાગરૂકતા સાયકલ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું.આ સાયકલ યાત્રાને ખાસ અંગદાન પ્રવુતિના પ્રણેતા અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી દિલીપ દેશમુખ (દાદા)દ્વારા લીલી ઝંડી આપી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય અંગદાન જાગૃતિ તથા ગૈર-સંક્રમણ રોગ(હૃદય રોગ, ડાયાબિટીસ,હાઈ બ્લડપ્રેસર) અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ સાયકલયાત્રા દરમ્યાન ગામોમાં પણ નાગરીકોનો સંપર્ક કરીને જાગૃતિ ફેલાવવાનું કાર્ય ભાવિ તબીબો કરનાર છે.આ સાયકલ યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી થી શરૂ થઈ મેડિકલ કોલેજ બરોડા ખાતે સમાપન થશે. આ યાત્રામાં 250 થી વધુ ભાવિ તબીબોએ ભાગ લીધો હતો.

યાત્રાના પ્રારંભે અંગદાન પ્રવુતિના પ્રણેતા અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી દિલીપ દેશમુખ (દાદા)એ જણાવ્યું હતું કે, નેશનલ મેડિકોઝ દ્વારા આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે,અંગદાન જાગૃતિના સંદેશ સાથે આ સાયકલ યાત્રાના આયોજન માટે હું આયોજકો અને ભાગ લેનાર તમામ ભાવિ તબીબોને અભિનંદન આપું છે. આ યાત્રા થકી સમાજમાં અંગદાન જાગૃતિ આવશે અને તેના થકી જરૂરિયાત વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થશે.
