Morbi: મોરબીના વાંકાનેરમાં આવેલા ભરવાડ પરામાં રહેતા પરિણીતાનું બીમારી સબબ મોત નિપજતા તેમનુ પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં મૃતકના માવતર પક્ષના લોકોએ સાસરીયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. હાલ મોતનું સાચું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યુ છે.
પરિણીતાને બેભાન અવસ્થામાં રાજકોટ સિવિલ લવાઈ
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાંકાનેરના ભરવાડ પરામાં રહેતા રૂપલબેન અવધભાઇ સરૈયા (28) નામની પરિણીતાનું ગઇકાલે સાંજે બેભાન થઇ જતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનામાં કોઠારીયા જડેશ્વરમાં રહેતા રૂપલબેનના ભાઈ મુન્નાએ સાસરિયાઓએ બહેનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે સાસરીયાઓએ જણાવ્યું કે, રૂપલને ઝાડા-ઉલ્ટી થઈ ગયા હતા. અચાનક બ્લડ પ્રેશર વધી જતાં રૂપલ બેભાન થઈ ગઈ હતી.
હાલ તો પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રુપલના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. જેમને સંતાનમાં એક દીકરો પણ છે.
જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કાપડના વેપારીનો આપઘાત
જૂનાગઢ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં રહેતા અને જગમાલ ચોક પાસે આવેલી હવેલીવાળી ગલીમાં દુકાન ધરાવતા નિરવ સંઘવી (40) નામના કાપડના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં નિરવ સંઘવી વ્યાજના વિષચક્રમાં ફસાયા હતા. જેને લઈને આજથી બે મહિના અગાઉ તેઓ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જો કે વ્યાજખોરોના ડર અને નામ જાહેર કરવાના ભયથી તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ. આ માનસિક દબાણ હેઠળ ગઈકાલે સવારે તેમણે ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ.
