Mehsana News: મહેસાણા જિલ્લાનું કડી તાલુકામાં સતત પાંચમાં દિવસે ત્રીજી હત્યા નોંધાઈ છે. આથી કડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડીના આલુસણા ગામે રવિવારે એક આધેડની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
આલુસણાના આધેડની નિર્મમ હત્યા કરાઈ
મળતી માહિતી મુજબ, કડી તાલુકાના આલુસણા ગામના વિષ્ણુજી તખાજી ઠાકોર (ઉં. વ 50) ખેતીકામ સાથે સંકળાયેલા હતા. બાલાસર અને સરકારી પરા વિસ્તાકમાં ભાગવી જમીન રાખીને ખેતી કરતા હતા. તેઓ પોતાના ઘરેથી રવિવારે એક્ટિવા પર જવા નીકળ્યા હતા.
આધેડનો મૃતદેહ લોહીલુહાણ અવસ્થામાં મળ્યો
બાલાસર ગામની સીમમાં રાત્રિના સયે નર્મદા કેનાલના ઢાળ નજીક વિષ્ણુજીની લોહિયાળ અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો. કેટલાક શખ્સો દ્વારા તિક્ષ્ણ અને ઘાતક હથિયારોના ઘા ઝીંકીને તેમની ઘાતકી હત્યા કરી નખાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
કડીના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ પહોંચી જઈને તપાસ શરુ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આરોપીઓને ઝઢપી લેવા માટે કાર્યવાહી શરુ કરી દેવાઈ છે. ત્યારે 5 દિવસમાં કડીમાં ત્રીજી હત્યા થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
