પ્રશાંત ગજ્જર, વડોદરા: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આરામપુરા ગામ પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક બેફામ ગતિએ આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે રસ્તાની બાજુમાં ઉભેલા ત્રણ માસૂમ બાળકોને જોરદાર અડફેટે લીધા હતા.
આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણેય બાળકો લોહીલુહાણ થઈ જતાં ઘટનાસ્થળે ચીસાચીસ અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક સાડા ચાર વર્ષના માસૂમ બાળકનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મોડાસા ખાતે સારવાર દરમિયાન બાળકે દમ તોડ્યો
મળતી વિગતો અનુસાર, આરામપુરા ગામ નજીકથી પસાર થઈ રહેલી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને નિર્દોષ બાળકોને અડફેટે લીધા હતા. અકસ્માત થતાં જ સ્થાનિક લોકો લોહીલુહાણ હાલતમાં તરફડતા બાળકોની વહારે આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત ત્રણેય બાળકોને તાત્કાલિક ધોરણે પ્રથમ લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોડાસા રિફર કરવામાં આવ્યા હતા. જોકે, દુર્ભાગ્યે મોડાસા ખાતે સારવાર ચાલી રહી હતી તે દરમિયાન 'અરબ મહોમદ ઝિયાન જુનેદ' નામના અંદાજિત 4.5 વર્ષના માસૂમ બાળકે દમ તોડી દીધો હતો. બાળકના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું અને તેમના કરુણ આક્રંદથી હોસ્પિટલની દિવાલો પણ ધ્રુજી ઉઠી હતી.

બે બાળકની હાલત નાજુક: અમદાવાદ રિફર કરાયા
આ ભયાનક અકસ્માતમાં ભોગ બનેલા અન્ય બે બાળકોની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તેમને વધુ ઓબ્ઝર્વેશન અને ઇમરજન્સી ઘનિષ્ઠ સારવારની જરૂર હોવાના કારણે તબીબોની સલાહ બાદ તાત્કાલિક અમદાવાદની હાઇટેક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની જિંદગી અને મોત વચ્ચે જંગ ચાલી રહ્યો છે.

પોલીસે નાસી છૂટવા મથતા કાર ચાલકને ઝડપી લીધો
બીજી તરફ, અકસ્માત સર્જીને કાર સાથે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા સ્કોર્પિયો ચાલકને સ્થાનિક પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી લીધો છે. લુણાવાડા પોલીસે સ્કોર્પિયો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોમાં સ્પીડ બ્રેકર મૂકવા અને બેફામ વાહન ચલાવનારાઓ સામે કડક પગલાં ભરવાની માંગ પ્રબળ બની છે.

