Health Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં ગુજરાતના જામનગરને મોટી ભેટ આપી છે. આયુર્વેદના હબ તરીકે જાણીતા જામનગરમાં હવે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ સાથે જ સરકારે ગંભીર બીમારીઓની દવાઓના ભાવ ઘટાડવા માટે 'બાયો-ફાર્મા શક્તિ' યોજનાની પણ જાહેરાત કરી છે.
જામનગર માટે ડબલ ધડાકો: WHO અને આયુર્વેદિક સેન્ટર
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે જામનગરમાં WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC) ને વધુ અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત:
- આયુર્વેદિક મેડિકલ સેન્ટર: જામનગરમાં એક અત્યાધુનિક આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે.
- 3 નવી આયુર્વેદ AIIMS: દેશમાં ત્રણ નવી આયુર્વેદ એઇમ્સ બનાવવામાં આવશે, જે પરંપરાગત સારવારને આધુનિક ટેકનોલોજી સાથે જોડશે.
- NIPER સેન્ટર: ફાર્મા શિક્ષણ માટે જામનગરમાં નવી NIPER (National Institute of Pharmaceutical Education and Research) સંસ્થા સ્થાપવાની જાહેરાત કરાઈ છે.
'બાયો-ફાર્મા શક્તિ' યોજના: ₹10,000 કરોડની ફાળવણી
ભારતને વિશ્વનું 'બાયો-ફાર્મા હબ' બનાવવા માટે સરકારે આગામી 5 વર્ષ માટે ₹10,000 કરોડના બજેટ સાથે નવી યોજના શરૂ કરી છે. તેના મુખ્ય ફાયદા:
- 1) સસ્તી દવાઓ: રિસર્ચ અને સ્થાનિક ઉત્પાદન વધવાને કારણે કેન્સર, ડાયાબિટીસ (શુગર) અને ઓટો-ઈમ્યુન બીમારીઓની મોંઘી દવાઓના ભાવમાં મોટો ઘટાડો થશે.
- 2) રસી (Vaccine) વિકાસ: નવી ટેકનોલોજી દ્વારા ભારતમાં જ અદ્યતન વેક્સિન બનાવવામાં આવશે, જેથી આયાત પરની નિર્ભરતા ઘટશે.
- 3) રોજગારી: હેલ્થકેર સેક્ટરમાં આગામી 5 વર્ષમાં 1 લાખ સ્પેશિયાલિસ્ટ પ્રોફેશનલ્સ અને 1.5 લાખ કેર-ગિવર્સ તૈયાર કરવામાં આવશે.
આયુર્વેદની નિકાસ અને નેશનલ લેબ્સ
સરકાર ભારતીય આયુર્વેદિક ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે ઉચ્ચ ગુણવત્તાના માપદંડો નક્કી કરશે. આયુર્વેદિક દવાઓના ચોકસાઈપૂર્વકના પરીક્ષણ માટે દેશભરમાં નવી નેશનલ લેબ્સ બનાવવામાં આવશે.
જામનગરમાં WHO સેન્ટર અને આયુર્વેદિક હોસ્પિટલ આવવાથી ગુજરાત મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર બનશે. બીજી તરફ, કેન્સર જેવી જીવલેણ બીમારીઓની દવાઓ સસ્તી થવાની જાહેરાત મધ્યમ વર્ગના પરિવારો માટે સૌથી મોટી રાહત સમાન છે.
