PM Kisan 23rd Installment Release: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 20 જૂનના રોજ પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'નો 23મો હપ્તો રિલીઝ કરશે. આ અવસરે વડાપ્રધાન દેશભરના કરોડો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી વિશેષ સંબોધન આપશે.
આ રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને ગુજરાતમાં ગાંધીનગર ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના 'પીએમ કિસાન ઉત્સવ દિવસ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશ કટારા ખાસ ઉપસ્થિત રહેશે.
23માં હપ્તા હેઠળ વડાપ્રધાન મોદીના હસ્તે સમગ્ર દેશના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 18,880 કરોડથી વધુની સહાયનું સીધું વિતરણ કરવામાં આવશે. આ હપ્તા અંતર્ગત ગુજરાતના આશરે 51.28 લાખ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. 1,025 કરોડથી વધુની સહાય સીધી DBTના માધ્યમથી જમા થશે.
આ યોજના હેઠળ અત્યાર સુધીના 22 હપ્તામાં દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. 4.28 લાખ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. જે અંતર્ગત ગુજરાતના 69 લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારો અત્યાર સુધીમાં કુલ રૂ. 23,083 કરોડથી વધુનો સીધો આર્થિક લાભ મળ્યો છે.
આ મહોત્સવ માત્ર રાજ્યકક્ષાએ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી ઉજવાશે. રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો અને પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ ખાતે વિશેષ કાર્યક્રમો યોજીને વડાપ્રધાનશ્રીના આ રાષ્ટ્રીય સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
