Dahod News: દાહોદ જિલ્લાનાં રળીયાતી ગામે એક બાંધકામ સાઈટ પર ચોકીદારની પથ્થરના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી મુજબ, રળીયાતી ગામે એક સોસાયટીનું બાંધકામ ચાલી રહ્યું હતું જ્યાં નવાગામના મનુ પરમાર નામના આધેડ ચોકીદારી કરતા હતા. પરંતુ ગત મોડી રાત્રે કોઈએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આરોપીએ ચોકીદારની હત્યા કરી
અજાણ્યા ઇસમે આધેડના માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેથી પોલીસની ટીમ આરોપીને ઝડપી લેવા માટે વળગી ગઈ હતી,. પોલીસે નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી અને ટેક્નિકલ સોર્સની મદદ વડે આરોપી દ્રિપલ અમલીયારને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈને સઘન પૂછપરછ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો
પોલીસની સઘન પૂછપરછ સામે આરોપી ભાંગી પડ્યો હતો. આરોપી દ્રિપલ અમલિયારે પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરી હતી. જેમાં આરોપી સાઈટ પર ભંગાર ચોરી કરવા ગયો હતો. પરંતુ ચોકીદારે તેને અટકાવતા ઉશ્કેરાઈ જઈને આરોપીએ ચોકીદારની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને પગલે પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
