Loading...

દાહોદ સબ જેલમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કેદીઓ સાથે રંગોનો પર્વ માણ્યો

ધુળેટીની ઉજવણીના અંતે ધારાસભ્ય, જેલ સ્ટાફ અને કેદીઓ આદિવાસી પરંપરા પ્રમાણે ટીમલીના તાલે નૃત્ય કર્યું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 04 Mar 2026 10:51 PM (IST)Updated: Wed 04 Mar 2026 10:51 PM (IST)
dahod-news-holi-dhuleti-celebration-held-at-sub-jail-mla-kanaiyalal-kishori-joins-inmates-702809
HIGHLIGHTS
  • કેદીઓમાં સકારાત્મકતા અને ઉમંગ જળવાઈ રહે તે માટે જેલમાં તમામ તહેવારોની ઉજવણી
  • ધારાસભ્યએ મુસ્લિમ કેદીઓને પવિત્ર રમઝાન માસની શુભેચ્છાઓ પાઠવી

Dahod: દાહોદ જિલ્લા સબજેલમાં હોળી-ધુળેટી પર્વ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવની સૂચના અનુસાર, બંદીવાનો તહેવારના આનંદથી વંચિત ન રહે તે હેતુથી આ ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી હાજર રહ્યા અને કેદીઓ સાથે પર્વનો આનંદ માણ્યો.

ઉજવણીની શરૂઆત કુદરતી રંગોથી કરવામાં આવી. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જેલ અધિક્ષક એમ.એલ. ગમારા અને અન્ય અધિકારીઓએ કેદીઓ સાથે કેસૂડાના ફૂલોમાંથી બનેલા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરી ધુળેટી રમ્યા.

જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું કે દાહોદ સબજેલમાં તમામ ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી થાય છે, જેથી કેદીઓમાં સકારાત્મકતા અને ઉમંગ જળવાઈ રહે.

ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કેદીઓને સંબોધતા આ તહેવારનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું. તેમણે કેસૂડાના પ્રાકૃતિક રંગોના ઔષધીય ગુણધર્મો વિશે માહિતી આપી અને દાહોદની પરંપરા મુજબ હોળી દરમિયાન વાલોર-પાપડીના શાકનું મહત્ત્વ સમજાવ્યું.

ધારાસભ્યે જેલના રસોડાની મુલાકાત લઈ કેદીઓ માટે તૈયાર થયેલ વાલોર-પાપડીના શાકની ચકાસણી કરી અને જેલ પ્રશાસનની કામગીરી માટે સંતોષ વ્યક્ત કર્યો.

આ કાર્યક્રમ દરમિયાન સાંપ્રદાયિક એકતા પણ ઉજાગર થઈ. ધારાસભ્યએ મુસ્લિમ કેદીઓને પવિત્ર રમઝાન માસની શુભેચ્છાઓ પાઠવી, તથા રમઝાન દરમિયાન રોઝા રાખતા કેદીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી મેળવી.

ઉજવણીના અંતે ધારાસભ્ય, જેલ સ્ટાફ અને કેદીઓએ આદિવાસી પરંપરા મુજબ ‘ટીમલી’ના તાલે નૃત્ય કર્યું. આ દ્રશ્યે કેદીઓમાં ઉત્સાહ વધાવ્યો અને તહેવારનો સાચો આનંદ અનુભવાયો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સબજેલમાં તહેવારનો ઉત્સાહ જળવાયો અને કેદીઓમાં પોઝિટિવ ઉર્જા જગાવી.

દાહોદ સબજેલમાં આ ધુળેટી ઉજવણી એ કેદીઓ માટે માત્ર તહેવાર નહિ પરંતુ આશા અને સંસ્કૃતિ સાથે જોડાવાનો પાવન સંદેશ બની. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની હાજરી અને સહભાગિતાથી કેદીઓનો ઉત્સાહ વધ્યો અને સાંપ્રદાયિક એકતા, પરંપરા અને સુખાકારીનો સંદેશ પ્રગટ થયો.