Hanuman Jayanti 2026 Celebration at Salangpur Hanumanji Mandir: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે આજથી બે દિવસીય 'કૃતજ્ઞતાનો મહા મહોત્સવ' અને હનુમાન જયંતીની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે. દાદાના દરબારમાં શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યાં મહોત્સવના પ્રથમ દિવસે દાદાના દરબારમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. જ્યાં આજે હનુમાનદાદાને 8 કિલો શુદ્ધ સોનાના વાઘા ધારણ કરવવામાં આવ્યા છે.જેથી ભક્તોએ દાદાના મનમોહક દર્શન કર્યા છે.


હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી
આ સમગ્ર મહોત્સવ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) ના પ્રેરક માર્ગદર્શન હેઠળ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. 2 એપ્રિલ 2026ના રોજ હનુમાન જયંતી નિમિત્તે 'હનુમાન જન્મોત્સવ' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.


દાદાને સોનાના સુવર્ણ વાઘા પહેરાવાયા
આજે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવેલ છે. જેના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી છે. દિવસ દરમિયાન 151 કિલોની કેક કાપીને 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. સવારે 07:30 કલાકે 1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું. 151 કિલો કેકનું કાપીને હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠયા હતા.


શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે પૂજન
વહેલી સવારથી જ દાદાનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દાદાના મનોહર સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંજના સમયે 'કિંગ ઓફ સાળંગપુર'ની 54 ફૂટની પ્રતિમા સમક્ષ ભવ્ય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ એકસાથે આરતી ઉતારી વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું.


રાત્રિના સમયે ભવ્ય લોકડાયરાનું આયોજન
રાત્રિના સમયે આકાશમાં અત્યાધુનિક અને રંગબેરંગી આતશબાજી કરવામાં આવી હતી. સતત ચાલેલી આ ભવ્ય આતશબાજીએ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા હતા અને આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની હતી. રાત્રિના સમયે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ ભક્તિરસની રમઝટ બોલાવી હતી. કલાકારોએ રજૂ કરેલા ભજનો અને સ્તુતિઓથી ભક્તો ભાવવિભોર બન્યા હતા.

શ્રીહનુમાન જન્મોત્સવ અંતર્ગત સમગ્ર મંદિરને ફૂલોથી શુશોભિત કરવામાં આવ્યું છે અવં મંદિર, ભોજનાલય, ઉતારા અને પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. જાણે રામદૂત હનુમાનજીના જન્મોત્સવ પહેલાં સાળંગપુરધામ મઘમઘી રહ્યું છે. શ્રીહનુમાન જયંતી મહામહોત્સવમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
