Loading...

Republic Day 2026: કચ્છના સફેદ રણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, વિશ્વના સૌથી વિશાળ 'ખાદી તિરંગા'ને સેના અને BSFએ સલામી આપી

ખાદી ગ્રામોદ્યોગ આયોગના પ્રતિનિધિએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ અદભૂત અને અલૌકિક છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 26 Jan 2026 12:23 PM (IST)Updated: Mon 26 Jan 2026 12:23 PM (IST)
republic-day-2026-army-and-bsf-salute-worlds-largest-khadi-tricolor-in-white-desert-of-kutch-680061

Bhuj News: દેશભરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે કચ્છના સફેદ રણમાં એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દ્રશ્ય સર્જાયું હતું. ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા કચ્છની ધરતી પર દુનિયાના સૌથી મોટા અને વિશાળ ખાદી નિર્મિત રાષ્ટ્રધ્વજને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેને ભારતીય સેના અને BSFના જવાનોએ સલામી આપી હતી.

વિશ્વના સૌથી મોટા ખાદી ધ્વજને સલામી

ખાદી ગ્રામોદ્યોગ આયોગના પ્રતિનિધિએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ અદભૂત અને અલૌકિક છે. દુનિયાનો સૌથી વિશાળ ખાદીનો રાષ્ટ્રધ્વજ જે અનેક કારીગરોની મહિનાઓની મહેનત બાદ તૈયાર થયો છે, તેને આજે સરહદી વિસ્તારમાં સન્માન અપાયું છે. ભારતીય સેના અને BSFના જવાનોએ પૂરી તાકાત અને શિસ્ત સાથે આ રાષ્ટ્રધ્વજને સ્થાપિત કરવાની અને સલામી આપવાની વ્યવસ્થા સંભાળી હતી.

'ઓપરેશન સિંદૂર' અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ

રણની ભૂમિ પર યોજાયેલા આ કાર્યક્રમમાં શહીદો અને વીર જવાનોને નમન કરવામાં આવ્યા હતા. આયોગના અધિકારીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, અહીં 'ઓપરેશન સિંદૂર' અને આપણી વીરાંગનાઓના બલિદાનને યાદ કરવામાં આવ્યા છે. બોર્ડર વિસ્તારમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવી એ સૈનિકો પ્રત્યેના આદરનું પ્રતિક છે.

કારીગરોને સાધન સહાય અને આત્મનિર્ભર ભારત

આ અવસરે ગુજરાત અને ખાસ કરીને કચ્છના કારીગરોને આત્મનિર્ભર બનાવવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી હતી. ટ્રેનિંગ બાદ અનેક કારીગરોને ખાદી ગ્રામોદ્યોગ આયોગ તરફથી ટૂલ કિટ્સ (સાધનો)નું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ સ્વરોજગાર મેળવી શકે.

ખાદી ઉદ્યોગની હરણફાળ

KVICના અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૧ વર્ષમાં અથાગ પરિશ્રમને કારણે ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર ૧ લાખ ૭૦ હજાર કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે, જે એક મોટી સિદ્ધિ છે. તેમણે કચ્છના લોકોને સ્વદેશી અભિયાનમાં જોડાવવા અને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા આહ્વાન કર્યું હતું.