Loading...

49th Hanumant Sangeet Mahotsav: મોરારિબાપુ પ્રેરિત 49મો હનુમંત સંગીત મહોત્સવ યોજાયો: વિવિધ ક્ષેત્રના 13 કલાકારોનું સન્માન

જીવનમાં સાત આહાર એવા છે કે જે આપણી ઊર્જાને ઉર્ધ્વગામી કરે છે. જેમાં ગાયન, વાદન, નર્તન,એકાંત,મૌન, મંત્ર અને ભજનને મૂકી શકાય.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 03 Apr 2026 09:40 PM (IST)Updated: Fri 03 Apr 2026 09:40 PM (IST)
morari-bapus-49th-hanumant-sangeet-mahotsav-concludes-13-artists-awarded-721137

49th Hanumant Sangeet Mahotsav: છેલ્લા 48 વર્ષથી મહુવાના તલગાજરડા ખાતે હનુમંત સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન થતું રહ્યું છે. વર્તમાન વર્ષે હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં આ 49 મો ચતુર્દિવસીય મહોત્સવ હનુમાન જયંતીના દિવસે તા.2 એપ્રિલ ના રોજ સમાજના વિવિધ કલાકારો અને સમાજસેવીઓને અલગ અલગ સન્માન-એવોર્ડ અર્પણ કરીને સંપન્ન થયો.

આ એવોર્ડની શૃંખલામાં આજે હિન્દી ફિલ્મના અભિનેત્રી શબાના આઝમીને નટરાજ એવોર્ડ અર્પણ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા.આ સન્માનના પ્રતિભાવમાં અભિનેત્રી શબાના આદમી એ કહ્યું કે મને ઘણાં સન્માનો એવોર્ડ્સ વગેરે પ્રાપ્ત થયા છે.


ચતુર્દિવસીય આ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે મોરારિબાપુએ આશીર્વાદક વાણીને મુખર કરતા કહ્યું કે તમે સૌ કલા સાધકો અમારી આ વંદના કબૂલ કરવા અહીં આવો છો તેનાથી અમે જાતને ગૌરવપૂર્ણ સમજીએ છીએ. જીવનમાં સાત આહાર એવા છે કે જે આપણી ઊર્જાને ઉર્ધ્વગામી કરે છે. જેમાં ગાયન, વાદન, નર્તન,એકાંત,મૌન, મંત્ર અને ભજનને મૂકી શકાય. હનુમાનજી મહારાજ આ વિવિધ વિધાઓની પ્રસ્તુતિથી પ્રસન્ન થાય છે. એટલે કલા પણ એક પ્રકારનો આહાર જ છે. હનુમાનજી મહારાજ સમાજની વિવિધ વર્ગો લોકોની ખોજ કરીને એક સેતુ બનાવે છે.

પ્રતિ વર્ષની જેમ આજે સમાજના જુદા જુદા ક્ષેત્રના વિદ્યાધરો-કલાકારોને એવોર્ડ્સ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા.આજે કુલ 13 એવોર્ડ અર્પણ થયાં જેમાં સુસાઈ કન્નૂ કુલંદેઈ સામી( મદ્રાસ)ને સદ્ભાવના એવોર્ડ, કનુ પટેલને કૈલાસ લલિતકલા એવોર્ડ (ચિત્રકલા માટે ),શ્યામલ મુનશી – સૌમિલ મુનશીને અવિનાશ વ્યાસ એવોર્ડ, વસંતકુમાર મ. ભટ્ટને વાચસ્પતિ (સંસ્કૃત) એવોર્ડ, શુચિતા વાય.મહેતાને ભામતી (સંસ્કૃત) એવોર્ડ, રમેશભાઈ બી. નાયકને (ભવાઈ) નટરાજ એવોર્ડ, અરવિંદ વૈદ્યને (નાટક) નટરાજ એવોર્ડ, કંવરજીત પેન્ટલ (ટી.વી સીરીયલ) નટરાજ એવોર્ડ, શબાના આઝમી (હિન્દી ફિલ્મ) નટરાજ એવોર્ડ, ગુરુશ્રી રતિકાંત મહાપાત્ર (ઓડિસી નૃત્ય) હનુમંત એવોર્ડ, ઓજસ અઢિયા, (તાલવાદ્ય-તબલાં) હનુમંત એવોર્ડ, દેબાશીશ ભટ્ટાચાર્ય (વાદ્યસંગીત-ગીટાર) હનુમંત એવોર્ડ અને વિદુષી કૌશિકી ચક્રબર્તીને (શાસ્ત્રીય ગાયન) હનુમંત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં.

અર્પણ કરવામાં આવેલા એવોર્ડમાં રોકડ ધન રાશિ, પ્રશસ્તી પત્ર અને સૂત્રમાળલાથી તમામ કલાવિદો,જ્ઞાનવાન મહત્ પુરુષોનું સન્માન કરવામાં આવ્યું. સમારંભમાં જગતગુરુ પૂ. સંતોષદાસજી મહારાજ -બનારસ, મુરલી બાબા- ઓમકારેશ્વર, પૂ.મહામંડલેશ્વર ગોપાલબાબા -કાશી વિશ્વનાથ તથા વિવિધ ગુણીજનો ઉપસ્થિત હતા. કાર્યક્રમના સંચાલક અને ગાયક હરિશ્ચંદ્ર જોશીની અવિરત 50 વર્ષની આ ક્ષેત્રની સેવાને પૂ.બાપુએ બિરદાવીને તેમનું પણ સન્માન કર્યું હતું. સમગ્ર આયોજનની સફળતામાં સંયોજક જયદેવભાઈ માંકડ તથા સંગીતની દુનિયાના નિલેશ વાવડીયા વગેરે જોડાયાં હતાં.