Ankleshwar road accident: અંકલેશ્વરના પાનોલી નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
કાર અને બાઈક વચ્ચે સામસામે ભયાનક અથડામણ
પ્રાપ્ત માહિતી અનુસાર, પાનોલી નજીક મુખ્ય માર્ગ પર કાર અને બાઈક વચ્ચે સામસામે ભયાનક અથડામણ થઈ હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે બાઈક પર સવાર બંને યુવકો રસ્તા પર દૂર ફંગોળાઈ ગયા હતા. અકસ્માત બાદ બંને યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ભારે રક્તસ્ત્રાવના કારણે બંને યુવકોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.
પોલીસ તપાસ અને કાર્યવાહી
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. બનાવ અંગે તરત જ પાનોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ ટીમે સ્થિતિનું નિરીક્ષણ કરી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવી હતી.

બંને યુવક ડેડીયાપાડા તાલુકાના રહેવાસી
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ ડેડીયાપાડા તાલુકાના રહેવાસી સૂચિત વસાવા અને જયેન્દ્ર વસાવા તરીકે કરવામાં આવી છે. બંને યુવકો કઈ દિશામાં જઈ રહ્યા હતા અને અકસ્માત કેવી રીતે થયો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ભરૂચ મહિલા કૉસ્ટેબલના આપઘાત કેસમાં નવો વળાંક, દુષ્પ્રેરણાનો ગુનો નોંધી સહ પોલીસકર્મીની ધરપકડ
મૃતક યુવકોના પરિવારજનોમાં ભારે શોક
અકસ્માતમાં બેદરકારી કે ઝડપ કારણભૂત હતી કે નહીં, તે તમામ પાસાઓ પર પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણે થોડીવાર માટે માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, જોકે પોલીસની કાર્યવાહી બાદ સ્થિતિ સામાન્ય બની હતી. આ ઘટનાથી મૃતક યુવકોના પરિવારજનોમાં ભારે શોક છવાયો છે અને ગામમાં શાંત માહોલ જોવા મળ્યો હતો.
