Rajula Marriage News: ગુજરાતમાં લવ જેહાદ અને આંતરજ્ઞાતીય લગ્નોના કિસ્સાઓ વચ્ચે અમરેલીના રાજુલામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી 25 વર્ષીય નેહા પરમાર નામની યુવતી એક વિધર્મી યુવક સાથે ભાગીને હૈદરાબાદ જતી રહી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ યુવતીના પિતાએ મીડિયા સમક્ષ રડતા-રડતા પોતાની વ્યથા ઠાલવી છે અને સરકાર પાસે દીકરીને પાછી લાવવા માટે મદદ માંગી છે.
યુવતીના પિતાની આજીજી
નેહાના પિતાએ અત્યંત ભારે હૈયે જણાવ્યું કે, "મેં મારી દીકરીને 25 વર્ષ સુધી સાચવી, ભણાવી-ગણાવી અને મોટી કરી. આજે મને એ વાતનું દુઃખ છે કે તે માત્ર 25 દિવસના પરિચયમાં મારી અને મારા પરિવારની વિરુદ્ધ જઈને મુસ્લિમ છોકરા સાથે ભાગી ગઈ." પિતાએ આક્ષેપ કર્યો છે કે તેમની દીકરીને લલચાવી-ફોસલાવીને લઈ જવામાં આવી છે. તેમણે પ્રશ્ન કર્યો કે જો હિન્દુ યુવતીને મુસલમાન ભગાડી જાય એ 'લવ જેહાદ' નથી તો બીજું શું છે?
ગૃહરાજ્યમંત્રી અને સરકારને સવાલ
દીકરીના પિતાએ રાજ્યના મજબૂત શાસન અને નેતાગીરી સામે પણ આડકતરી રીતે પોતાની આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, "ગુજરાતમાં આટલા મોટા નેતાઓ અને સક્ષમ પોલીસતંત્ર બેઠું હોય, તેમ છતાં જો એક લાચાર પિતાની દીકરી પાછી ન લાવી આપી શકે તો આ વ્યવસ્થા શું કામની?" તેમણે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ વિનંતિ કરી છે કે પોલીસ હૈદરાબાદ જઈને તેમની દીકરીને સુરક્ષિત પરત લાવે.
વીડિયો વાયરલ થતા વધ્યું દુઃખ
બીજી તરફ, હૈદરાબાદ ગયેલી નેહાએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને પોતાના માતા-પિતા વિરુદ્ધ આક્ષેપો કર્યા છે. આ વીડિયો અંગે પિતાએ સ્પષ્ટતા કરી કે, "મારી દીકરી કોઈના દબાણમાં આવીને અથવા કોઈએ શીખવાડ્યું હોય તે મુજબ ખોટા વીડિયો બનાવી રહી છે. અમે તેને ક્યારેય દુઃખ આપ્યું નથી. હું તેને વિનંતી કરું છું કે આવા ખોટા વીડિયો બનાવીને પરિવારની આબરૂ ન ઉછાળે."
'ધ કેરાલા સ્ટોરી-3' જેવી ભીતિ
ભાવુક બનેલા પિતાએ સમાજને પણ ચેતવણી આપતા કહ્યું કે, "આજે મારા ઘરની દીકરી ગઈ છે, જો આપણે અત્યારે નહીં જાગીએ તો કાલે બીજા કોઈની દીકરી જશે. 'ધ કેરાલા સ્ટોરી' 1 અને 2 તો આવી ગઈ, હવે આવી જ સ્થિતિ રહી તો ભાગ ૩ આવતા વાર નહીં લાગે." તેમણે સમાજના વાલીઓને પોતાની દીકરીઓ પર ધ્યાન રાખવા અને જાગૃત થવા અપીલ કરી છે
