Amreli: ધારીમાં આવેલા નસીત પેટ્રોલ પંપ પર ગત રાત્રિએ ડીઝલ પુરાવવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ હિંસક હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. પંપના સંચાલક પર લાકડીઓ વડે હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવતા સમગ્ર વિસ્તારના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
પંપના સંચાલકને માર માર્યો
મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે નસીત પેટ્રોલ પંપ પર ચાર શખ્સો ડીઝલ પુરાવવા માટે આવ્યા હતા. ઈંધણ ભરવા જેવી સામાન્ય બાબતે આ શખ્સોએ પંપના સંચાલક સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. વિવાદ એટલો વધ્યો હતો કે, ઉશ્કેરાયેલા શખ્સોએ સંચાલક પર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સંચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધાયો
હાલમાં સોશિયલ મીડિયા અને લોકમુખે પેટ્રોલ-ડીઝલની તંગીની જે અફવાઓ ચાલી રહી છે, તેને કારણે પંપ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. આ અફવાઓને લીધે ગ્રાહકો અને પંપ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો વધી રહ્યા છે, જે આ ઘટના પાછળનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
