Gujarat Weather Today: રાજ્યભરમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જેના પરિણામે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને શીત લહેરોને કારણે ઠંડીનો અનુભવ થયો હતો. જોકે, આજે ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે, ત્યારબાદના ત્રણ દિવસમાં 3થી5 ડિગ્રીનો ઘટાડો થશે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર હવાના ઉપરના સ્તરે બે અલગ અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રાકાર પવનો) સક્રિય છે, પરંતુ કોઈ મોટા ડિપ્રેશન રચાવાની શક્યતા હાલ પૂરતી નથી.
હવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે. 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે, ત્યારબાદના ત્રણ દિવસમાં 3થી5 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થશે, અને તે પછીના દિવસોમાં ફરીથી 2થી 3ડગ્રીનો વધારો નોંધાશે. આ સમયગાળા દરમિયાન, ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિત સમગ્ર વિસ્તારમાં સૂકું વાતાવરણ રહેવાની પ્રબળ સંભાવના છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સવારે સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને 18 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો
દેશના ઉત્તર ભાગોમાં સક્રિય પશ્ચિમી વિક્ષોભ (Western Disturbance) ના કારણે વાદળછાયું વાતાવરણ અને ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં પણ વાતાવરણમાં આંશિક બદલાવ જોવા મળ્યો છે, જ્યાં પૂર્વ અને પશ્ચિમ ગુજરાતના કેટલાક ભાગોમાં આછા વાદળો છવાયેલા રહ્યા હતા, જોકે કોઈ મોટી હવામાન પ્રવૃત્તિ નોંધાઈ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે, દક્ષિણ હિંદ મહાસાગરમાં 'FYTIA' નામનું એક શક્તિશાળી ચક્રવાત સક્રિય બન્યું છે, જેની તીવ્રતા નોંધપાત્ર છે અને તેના પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, જોકે હાલ તે ભારતીય કિનારાથી ઘણું દૂર છે.
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ કેરળના તટ અને તેને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ ગઈકાલે જોવા મળેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આજે પણ યથાવત છે. આ ઉપરાંત, કોમોરિન વિસ્તાર અને તેની આસપાસના ક્ષેત્રોમાં 1.5 કિમીની ઊંચાઈએ એક નવું સર્ક્યુલેશન રચાયું છે.આ ફેરફારોને પરિણામે અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ટાપુઓના વિસ્તારમાં છૂટાછવાયા નીચા અને મધ્યમ સ્તરના વાદળો છવાયેલા છે. આ વિસ્તારોમાં નબળાથી મધ્યમ કક્ષાનું કન્વેક્શન (વાતાવરણીય અસ્થિરતા) જોવા મળી રહ્યું છે. જોકે, 'સાયક્લોજેનેસિસ' એટલે કે ડિપ્રેશન રચાવાની શક્યતા આગામી સાત દિવસ સુધી જણાતી નથી.
