Ahmedabad News: ભારતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો મોટું સરદર્દ બની ગયા છે. દેશના ખૂણે ખૂણે બાંગ્લાદેશી નાગરિકો ભરાઈ ગયા છે. હાલ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હુંકાર બાદ દેશ અને ગુજરાતમાંથી બાંગ્લાદેશીઓને શોધી શોધીને ડિપોર્ટ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. ત્યારે એક બાંગ્લાદેશીને પકડીને ડિપોર્ટ કરવા પાછળ સરકારને અંદાજે 40થી 50 હજાર સુધીનો ખર્ચ વેઠવાનો વારો આવે છે.
બાંગ્લાદેશી નાગરિક માત્ર 2 હજારમાં બોર્ડર ક્રોસ કરે છે
તેમ છતા આટલા રુપિયા ખર્ચ્યા પછી પણ માત્ર 1500 અને 2 હજારમાં બાંગ્લાદેશીઓ ભારત-બાંગ્લાદેશ બોર્ડર અને નેપાળ થઈને ભારત આવી જાય છે. બાંગ્લાદેશી નાગરિક ઝડપાય ત્યારે તેને ડિટેન્શન સેન્ટરમાં રખાય છે. ભારત સરકારના ખર્ચે તેની સારવાર, ભોજન આપવામાં આવે છે. બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સમગ્ર પ્રોસેસમાં અંદાજે 2થી 3 મહિનાનો સમય જાય છે.
ચોંકાવનારી વાત એ છે કે, બાંગ્લાદેશ સરકાર તેમના નાગરિકને સ્વીકારી લે છે. પરંતુ થોડો સમય વીતી જાય પછી તેઓ પાછા ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસો કરે છે.
પાંચ વર્ષમાં પાંચ ગણા ઘૂસણખોરો ઝડપાયા
ઘૂસણખોરો ભારતમાં કેટલાક એજન્ટોનો સંપર્ક કરીને અંદાજે પંદરસોથી બે હજારમાં બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘૂસી જાય છે. પરંતુ જો બાંગ્લાદેશ બોર્ડર પરથી તે ન જાય તો બાંગ્લાદેશી નાગરિક નેપાળ, બિહાર થઈને ટ્રેન મારફતે પાછા ભારતમાં ઘૂસી જાય છે. વર્ષ 2020થી 2026 સુધીમાં કુલ 1229 જેટલા બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. 2020થી 2024 સુધીમાં 173, 2025માં 890 એમ પાંચ વર્ષમાં પાંચ ગણા ઘૂસણખોરોને ઝડપી લેવાયા હતા.
અમદાવાદમાં ઝુંબેશમાં 30 ટીમો જોડાઈ
ગેરકાયદેસર ઘૂસણખોરોને ઝડપી લેવા માટે 3 જૂનની રાત્રે 2 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમ, EOW 20 ટીમ, સાયબર ક્રાઈમ અને એસઓજી મળીને 30 ટીમો ઉપરાંત સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી.બાંગ્લાદેશીઓ વિશે સૌથી ચૌંકાવનારી બાબત એ છે કે, તેઓ એક વાર પોલીસ ઝડપી લે તો તેઓ સ્થાનિક ભાષા શીખ લઈને ઓળખ બદલીને ભિક્ષુક કે મજૂરીનો રસ્તો અપનાવે છે.
