Loading...

Vidhyasahayak Bharti 2026: ગુજરાતમાં 11,000 પ્રાથમિક શિક્ષકોની મેગા ભરતી, લાયક તમામ TET-1 ઉમેદવારોને સરકારી નોકરીની ગેરંટી

ઈચ્છુક ઉમેદવારો 24 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 02 Apr 2026 08:56 AM (IST)Updated: Thu 02 Apr 2026 08:56 AM (IST)
gujarat-vidhyasahayak-bharti-2026-recruitment-of-11000-primary-teachers-719951
HIGHLIGHTS
  • ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મેગા ભરતી
  • 11,000 જગ્યા માટે વિદ્યાસહાયકો ભરતી
  • 24 એપ્રિલ ઓનલાઈન અરજી કરી શકાશે

Gujarat Teacher Recruitment 2026: ગુજરાતની પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક અત્યંત આનંદના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માટે રેકોર્ડબ્રેક 11,000 વિદ્યાસહાયકોની (પ્રાથમિક શિક્ષકોની) મેગા ભરતી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

11,000 પ્રાથમિક શિક્ષકોની મેગા ભરતી

આ મેગા ભરતી અંતર્ગત વર્ષ 2025 ની બાકી રહેલી 5,000 જગ્યાઓ અને વર્ષ 2026 ની નવી 6,000 જગ્યાઓ એમ કુલ મળીને 11,000 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ગુજરાતી માધ્યમના શિક્ષકો માટે હાથ ધરવામાં આવશે.

ભરતી પ્રક્રિયા અને મહત્વની તારીખો

  • આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: 15 એપ્રિલ.
  • ઓનલાઈન રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 24 એપ્રિલ.
  • અરજી જમા કરાવવાની પ્રક્રિયા: ઉમેદવારોએ 24 એપ્રિલ સુધીમાં જ નિયત સ્વીકાર કેન્દ્રો પર પોતાની અરજી જમા કરાવવાની રહેશે, ત્યારબાદ કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

તમામ TET-1 પાસ ઉમેદવારોને નોકરીની ગેરંટી

આ ભરતીની સૌથી ખાસ અને રેકોર્ડબ્રેક વાત એ છે કે, તાજેતરમાં લેવાયેલી શિક્ષક અભિયોગ્યતા કસોટી (TET-1) માં ક્વોલિફાઈડ ઉમેદવારોની સંખ્યા 11,027 હતી, જ્યારે ખાલી જગ્યાઓ પણ 11,000 છે. આ સમીકરણને કારણે શિક્ષણ વિભાગની આ સૌથી મોટી ભરતીમાં લાયક ઠરેલા લગભગ તમામ ઉમેદવારોને શિક્ષક બનવાની અને નોકરી મેળવવાની સુવર્ણ તક મળશે.

ભરતીનું માળખું અને ખાલી જગ્યાઓનું ગણિત

પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના જણાવ્યા મુજબ, વર્ષ 2009 માં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ લાગુ થયા બાદ પ્રાથમિક શિક્ષણ બે ભાગમાં વિભાજિત થયું હતું. અગાઉ ધોરણ 1 થી 5 ના શિક્ષકોની ભરતી PTC (પીટીસી) ડિગ્રીના આધારે થતી હતી, પરંતુ હવે તે સંપૂર્ણપણે TET-1 ના પરિણામના આધારે કરવામાં આવે છે.

આ મેગા ભરતી ગુજરાતના શિક્ષણ જગત માટે એક ઐતિહાસિક પગલું છે, જેમાં ખાલી જગ્યાઓની સામે સમાન સંખ્યામાં જ ઉમેદવારો હોવાથી બેરોજગારીનો સામનો કરતા તમામ લાયક શિક્ષકો માટે નોકરીના દરવાજા ખુલી ગયા છે. લાયક ઉમેદવારોએ સમયસર પોતાના દસ્તાવેજો તૈયાર રાખી 15 એપ્રિલથી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી લેવી હિતાવહ છે.